
Pravinbhai Chaniyara નામના એક ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચોકીદાર ચોર નહિં મહા ચોર છે. જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની બેનામી સંપત્તિ. ચોકીદાર ચોર હૈ… ગુજરાતમાં 12 બંગલા, 16 મોલ, પોતાનું ચાર્ટડ પ્લેન, 400 એકર જમીન, ગાંધીનગર પાસે કરોડોનું ફાર્મ હાઉસ, હું ખાતો નથી તો આ સંપત્તિ ચાની લારીમાંથી કમાયા? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 80 લોકોએ લાઈક કરી હતી, 9 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 417 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Face book | Archive
સંશોધન
ઉપરક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે આટલી બધી બેનામી સંપત્તિ હોત તો એ ચર્ચાનો વિષય બન્યો હોત. વિપક્ષ દ્વારા પણ આ મુદ્દદાને લઈ મોટો હોબાળો કરવામાં આવ્યો હોત. તેમજ મીડિયા દ્વારા પણ આ માહિતીને ક્યાંક ને ક્યાંક તો પ્રસારિત કરવામાં આવી જ હોત. જેથી આ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો હતો અને પ્રહલાદ મોદીની સંપત્તિ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમારી તપાસ આગળ વધારતાં અમે યુટ્યુબનો સહારો લીધો અને Property of Prahlad modi સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પણ અમને નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સંપત્તિ વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને ધ લલ્લનટોપ દ્વારા મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયોમાં પ્રહલાદ મોદી એક ચાર્ટડ પ્લેનમાં સફર કરતા જોવા મળે છે. પરંતુ અમે આ વીડિયોની માહિતી પર ધ્યાન દોર્યું તો અમને ખબર પડી કે, મધ્યપ્રદેશના સતનામાં તેઓ શ્રી મહેશ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટરના ઉદઘાટન માટે ગયા હતા. આ પ્રોગ્રામ 21 જુલાઈ, 2017 ના રોજ હતો. તેમજ ઈન્સ્ટિટ્યુટના માલિક શુભમ સાહુ દ્વારા પ્રહલાદ મોદીની ભોપાલથી સતના વચ્ચે ચાલતા નાના સેંચુરા પ્લેનની ટિકિટ કરી આપવામાં આવી હતી. આ અંગેની સંપૂર્ણ માહિતી તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી તપાસને આગળ વધારતા અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે આ અંગે વાત કરતાં તેમણે અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર મારા વિરુદ્ધ આવી ઘણી બધી ખોટી માહિતી કેટલાક લોકો દ્વારા મૂકવામાં આવતી હોય છે. આ માહિતી તદ્દન ખોટી છે. મારી પાસે આ પ્રકારની કોઈ જ બેનામી સંપત્તિ નથી અને તો પણ જે લોકો આવો દાવો કરી રહ્યા છે તે બધી મિલકતના મારા નામના દસ્તાવેજ મને બતાવે તો હું માનું.”

પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ સંપત્તિ હોવાનું ક્યાંય સાબિત થતું નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે છે કરોડોની બેનામી સંપત્તિ…? જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
