
અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કરવાના ગુનામાં લોકડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ગત 17 ઓગસ્ટ 2025ના દુધઈ નજીક ફાર્મહાઉસ માંથી ધરપકડ કરવામાં આવી હતી.
જે બાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો અને બાદમાં ફરી તેમના જામીન રદ કરી અને તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ વાન માંથી એક વ્યક્તિ લગડાતો નીચે ઉતરે છે તેના પગમાં પ્લાસ્ટર પણ બાંધેલુ જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડાયરાકલાકર દેવાયત ખવડની ધરપકડ કર્યા બાદ તેમની સર્વિસ કરવામાં આવી હતી અને તેમની હાલત અત્યારે આવી છે તેનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ડાયરાકલાકર દેવાયત ખવડની ધરપકડ કર્યા બાદ તેમની સર્વિસ કરવામાં આવી હતી અને તેમની હાલત અત્યારે આવી છે તેનો વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી જે 7 જૂન 2025ના શેર કરવામાં આવી હતી, જેની સાથે વાયરલ વીડિયોનું સંપૂર્ણ વિવરણ કરવામાં આવ્યુ હતુ અને માહિતી આપવામાં આવી હતી કે, “ચિત્તોડગઢમાં એક ASI ના પુત્રની હત્યા કરનાર બજરી માફિયા ગેંગના સભ્યનો હૃદયદ્રાવક અંત પોલીસની શક્તિનો જીવંત પુરાવો છે! જ્યારે કાયદો શાસન કરે છે, ત્યારે ગુનેગારોને ઘૂંટણિયે પાડી દેવામાં આવે છે. આ દ્રશ્ય આજની યુવા પેઢી માટે એક પાઠ છે, જે ગુનાની દુનિયામાં પ્રવેશવાનું સ્વપ્ન જુએ છે. પોલીસની અડગતા અને ન્યાયની શક્તિને સલામ! ગુનાનો માર્ગ ફક્ત વિનાશ તરફ દોરી જાય છે.”
ત્યારબાદ આ ક્લુના આધારે સર્ચ કરતા અમને ચિત્તૌડગઢ ન્યૂઝ દ્વારા તેમની ઓફિશિયલ ન્યૂઝચેનલ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ચિત્તોડગઢના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા એક હોટલમાં થયેલા ગોળીબારમાં એક યુવકનું મોત થયું હતું, જેમાં ત્રણ શંકાસ્પદોની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાના સંદર્ભમાં અન્ય શંકાસ્પદો સાથે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. 31 મેની રાત્રે, કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સેમલપુરા ચારરસ્તા પાસે એક હોટલમાં કેટલાક યુવાનો બેઠા હતા. લક્ઝરી કારમાં સવાર લગભગ બે ડઝન હુમલાખોરોએ જૂની દુશ્મનાવટને કારણે એક યુવક પર ગોળીબાર કર્યો, જેના પરિણામે તેનું મોત થયું. ત્યારથી હુમલાખોરો ફરાર છે. દરમિયાન, 8 થી 10 પોલીસ ટીમો હુમલાખોરોની શોધમાં સતત દરોડા પાડી રહી હતી. જેસલમેરની એક હોટલમાં ત્રણ આરોપીઓની હાજરીની માહિતી મળતાં, પોલીસે જેસલમેર પોલીસની મદદથી હોટલ પર દરોડો પાડ્યો અને ઘટનાસ્થળેથી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી. કડક પોલીસ સુરક્ષા હેઠળ ત્રણેય આરોપીઓને ચિત્તોડગઢ લાવવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન, ગંગાર નજીક, આરોપીઓએ પેશાબનું બહાનું બનાવીને ભાગવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસે તેમનો પીછો કર્યો, ત્યારે ત્રણેય ગટરમાં પડી જવાથી ઘાયલ થયા. જિલ્લા હોસ્પિટલમાં સારવાર બાદ, ઘટના સ્થળની ચકાસણી કરવામાં આવી. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધ પણ ચાલુ છે.”
આ અંગે વિસ્તૃત માહિતી આપતા અહેવાલ દૈનિક ભાસ્કર, ન્યૂઝઅફૈર અને પત્રિકા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
તેમજ નિમબહેરા.ટૂડે દ્વારા પણ તેમના ઈન્સટાગ્રામ પેજ પર આ આરોપીઓના વિઝ્યુલ ચિત્તોડગઢના ડીસીપી વિનય ચૌધરીની બાઈટ પણ સાંભળી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં ડાયરાકલાકર દેવાયત ખવડ નહીં પરંતુ રાજસ્થાનમાં એએસઆઈની હત્યાના આરોપીઓ છે. જેનો ગુજરાત સાથે કોઈ સબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:રાજસ્થાનના આરોપીનો વીડિયો ગુજરાતના લોકડાયરા કલાકર દેવાયત ખવડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


