
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપ અને ઔવેસીની પાર્ટી AIMIM બંને એકબીજા સાથે મળેલા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ AIMIM ના નેતા ઔવેસી અને તેમની પાર્ટીનું ડેલિગેશન માલેગાંવ પાવરલુમ્સના પ્રશ્નોની ચર્ચા-વિચારણા બાબતે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહને મળ્યા હતા તે સમયનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 17 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ કીની માટે ભેગા થયા હશે અને હાથમાં કાગળ છે એ કીનો હશે?🤔આના વિશે માહિતી હોય તો આપજો. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપ અને ઔવેસીની પાર્ટી AIMIM બંને એકબીજા સાથે મળેલા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર zeenews.india.com દ્વારા 12 એપ્રિલ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, AIMIM ના નેતા ઔવેસી અને તેમની પાર્ટીનું ડેલિગેશન માલેગાંવ પાવરલુમ્સના પ્રશ્નોની ચર્ચા-વિચારણા બાબતે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહને મળ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. livehindustan.com | hindi.oneindia.com
આજ ફોટા AIMIM ના નેતા અસદુદ્દીન ઔવેસી અને સાંસદ ઈમ્તિયાઝ જલીલ દ્વારા પણ તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ AIMIM ના નેતા ઔવેસી અને તેમની પાર્ટીનું ડેલિગેશન માલેગાંવ પાવરલુમ્સના પ્રશ્નોની ચર્ચા-વિચારણા બાબતે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહને મળ્યા હતા તે સમયનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતના વાયરલ ફોટોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
