પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે સ્માર્ટ કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં તેઓ 4000 કિલોમીટર સુધી મફત મુસાફરી કરી શકે છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે સ્માર્ટ કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં તેઓ 4000 કિલોમીટર સુધી મફત મુસાફરી કરી શકે છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાચી હોવાનું જાણવા મળ્યું નહતું. ત્યાર બાદ અમે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ gsrtc.in/site/ પર ચેક કરતાં ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ યોજના હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારતાં અમને GSRTC ના જનસંપર્ક અધિકારી દ્વારા 18 ઓગષ્ટ, 2021 ના રોજ બહાર પાડવામાં આવેલ એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો હોવાનું સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. તેમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, એસ.ટી. નિગમ કે તેની સાથે સંકળાયેલા કોઈ પણ સંગઠન દ્વારા આ પ્રકારની કોઈ યોજના લાગુ કરવામાં આવી નથી.
વધુમાં અમને દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.
અમારી વધુ તપાસમાં આ મેસેજ અફવા હોવા અંગેના સમાચાર એક સમાચારપત્રમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે તમે નીચે જોઈ શકો છો.
આ અંગે મહેસાણા જિલ્લાના ડિવિજન ટ્રાફિક અધિકારી સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે. આ પ્રકારની કોઈ જ યોજના એસ.ટી. નિગમ કે તેની સાથે સંકળાયેલા કોઈ પણ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવી નથી. લોકોએ આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. બસમાં મફત મુસાફરીના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય…જાણો શું છે સત્ય..
Written By: Frany KariaResult: False
