અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનની છેલ્લી ક્ષણોમાં બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો 2023માં નેપાળમાં થયેલા વિમાન દુર્ઘટનાનો છે.

હાલમાં એક દુ:ખદ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વાસ્તવમાં, ગુરૂવાર 12 જૂન 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના બની હતી, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI 171 ટેકઓફ કર્યાના થોડી જ સેકન્ડ પછી સિગ્નલ ગુમાવવાના કારણે એરપોર્ટની બહાર ક્રેશ થયું હતું. આ વિમાન બોઇંગ B787 એરક્રાફ્ટ VT-ANB હતું જે અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહ્યું હતું. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા જે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જોકે, મૃતકો અને ઘાયલો વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી. આ હૃદયદ્રાવક સમાચાર વચ્ચે, ઇન્ટરનેટ પર એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિમાન લેન્ડ થાય તે પહેલાં લેવાયેલો “લાઇવ વીડિયો” છે, જેમાં એક મુસાફર વિમાનની બહાર અને અંદરનો નજારો રેકોર્ડ કરતો જોવા મળે છે, અને આ વીડિયોને અમદાવાદ વિમાન દુર્ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ પ્લેન ક્રેશ થયુ તે પહેલા યાત્રી દ્વારા લેવામાં આવેલો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે ગૂગલ લેન્સની મદદથી વાયરલ વીડિયોના મુખ્ય ફ્રેમ્સ શોધવાનું શરૂ કર્યું. પરિણામે, અમને 16 જાન્યુઆરી 2023ના રોજ ડેઇલી સ્ટાર વેબસાઇટ પર પ્રકાશિત એક રિપોર્ટ મળ્યો. આ રિપોર્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં અમે વાયરલ વીડિયોના દ્રશ્યો જોયા હતા. રિપોર્ટ અનુસાર, આ વીડિયો નેપાળની યેતી એરલાઇન્સનો હતો, જે વર્ષ 2023માં ક્રેશ થયો હતો. આ પ્લેન ક્રેશમાં કુલ 68 લોકોના મોત થયા હતા. વીડિયો શૂટ કરનાર યુવકનું નામ સોનુ જયસ્વાલ હોવાનું કહેવાય છે, જે પ્લેન ક્રેશનો ભોગ બન્યો હતો.
અમને હિન્દુસ્તાન ટાઈમ્સના ફેસબુક પેજ પર 16 જાન્યુઆરી 2023ના રોજ શેર કરાયેલ એક વાયરલ વીડિયો મળ્યો. વીડિયો સાથે પોસ્ટ કરાયેલા કેપ્શનમાં જણાવાયું છે કે સોનુ જયસ્વાલ નામના (મુસાફરે) ATR 72 પર ફેસબુક લાઈવ શૂટિંગ કર્યું હતું. ફેસબુક લાઈવ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું. તેમના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે અકસ્માતમાં ઓછામાં ઓછા 68 લોકો માર્યા ગયા હતા, પરંતુ ગણતરી પછી, મૃત્યુઆંક 66 હોવાનું જાણવા મળ્યું હતું. તે જ સમયે, વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 5 માંથી 4 ભારતીય નાગરિકો હતા.
આ પછી, અમને 17 જાન્યુઆરી 2023 ના રોજ આજતકની વેબસાઇટ પર એક વીડિયો રિપોર્ટ મળ્યો. આ વીડિયો રિપોર્ટમાં વાયરલ વીડિયોનું દ્રશ્ય પણ બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે યેતી એરલાઇન્સનું વિમાન પોખરાના સ્થાનિક એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું. નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા આવી રહેલા આ વિમાનમાં 4 ક્રૂ સભ્યો સહિત કુલ 72 લોકો સવાર હતા.
અમને ટાઇમ્સ નાઉ, ઇન્ડિયા ટુડે અને સીએનએ દ્વારા શેર કરાયેલો આ જ વિડિઓ મળ્યો. આ બધા અનુસાર, તે સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડિઓ 2023 માં નેપાળ વિમાન દુર્ઘટનાનો છે, જેને હવે એર ઇન્ડિયા AI171 અકસ્માત તરીકે ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો હાલના અમદાવાદ પ્લેન ક્રેશ પહેલાનો નથી, આ વીડિયો નેપાળમાં યેતી એરલાઇન્સ ક્રેશ દરમિયાન સોનુ જયસ્વાલ નામના (મુસાફરે) ફેસબુક લાઇવ શૂટિંગ કર્યું હતું.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:2023માં નેપાળમાં યેતી એરલાઇન્સના વિમાન દુર્ઘટનાનો જૂનો વીડિયો અમદાવાદ વિમાન દુર્ઘટના નામે વાયરલ….
Fact Check By: Frany KariaResult: False
