
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાએ પોતાની જાતને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગને હવાલે કરી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે એખ મહિલાએ ન્યાય ન મળતાં સરકારી ઓફિસ આગળ પોતાની જાતને આગ ચાંપી દીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલાએ પોતાની જાતને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગને હવાલે કરી હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યુપીમાં એક મહિલાને ન્યાય મળતાં તેણે લખનૌમાં યોગીજીની ઓફિસની બહાર પોતાની જાતને આગ લગાવી દીધી. પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનથી લઈને જિલ્લા પોલીસ કપ્તાન સુધી ઘણા ચક્કર લગાવ્યા પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. યુપી પોલીસ માત્ર ભાજપ માટે કામ કરી રહી છે. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે એખ મહિલાએ ન્યાય ન મળતાં સરકારી ઓફિસ આગળ પોતાની જાતને આગ ચાંપી દીધી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર હિંદી નેટ ન્યૂઝ દ્વારા 13 ઓક્ટોમ્બર, 2020ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, લખનૌ વિધાનસભા આગળ એક મહિલાએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી.
શું છે આ સમગ્ર મામલો?
અમારી વધુ તપાસમાં જાણવા મળ્યું કે, જે મહિલાએ પોતાને આગ લગાવી હતી તેનું નામ અંજલી તિવારી ઉર્ફે આયેશા હતું, જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
અંજલિએ પોલીસને જણાવ્યું હતું કે, “મારા પહેલા પતિ સાથે બ્રેકઅપ થયા પછી, મેં મારો ધર્મ અને નામ બદલી નાખ્યું અને આસિફ રઝા નામના યુવક સાથે બીજા ઘરમાં રહેતી હતી. જ્યારે આસિફ સાઉદી અરેબિયા ગયો, ત્યારે હું તેના ઘરે રહેવા ગઈ, પરંતુ આસિફના પરિવારે મને તેમના ઘરમાં રાખવાનો ઇનકાર કર્યો. આ મામલે મને પોલીસ તરફથી કોઈ મદદ મળી નહીં.” તે મુખ્યમંત્રીને મળવા લખનૌ પણ આવ્યા હતા. પણ સફળતા મળી નહીં. તેથી મેં લખનૌ વિધાનસભાની સામે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
લખનૌ પોલીસે આ કેસમાં રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ સુખદેવ પ્રસાદના પુત્ર આલોક પ્રસાદની ધરપકડ કરી છે. આલોક વિરુદ્ધ મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ માહિતી તમે અહીં અને અહીં વાંચી શકો છો.
અમારી વધુ તપાસમાં અમને લખનૌ પોલીસ દ્વારા આ વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરતી ટ્વિટ 3 એપ્રિલ, 2025ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં લખનૌ પોલીસે લખ્યું હતું કે, “ઉપરોક્ત વીડિયો 2020નો છે અને તેમાં હઝરતગંજ પોલીસ સ્ટેશન દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલાએ પોતાની જાતને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગને હવાલે કરી હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો લખનૌ ખાતે મહિલાએ પોતાની જાતને સળગાવી દીધી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
