
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજ તક દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા અનફોલો કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આજ તક દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020 માં કરવામાં આવેલી ટ્વિટનો છે. આ ટ્વિટને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 02 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા અનફોલો કરવામાં આવ્યા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેની ટ્વિટ આજતક દ્વારા 29 એપ્રિલ, 2020 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતને જ્યારે કોરોના વાયરસ સામે લડવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારપછી 10 એપ્રિલે વાઈટ હાઉસે ભારતના ઘણા બધા ટ્વિટર હેન્ડલને ફોલો કર્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં યુએસ એમ્બેસી, ભારતમાં અમેરિકી રાજદૂત કેન જસ્ટરને ફોલો કરવામાં આવ્યા હતા. જ્યારે થોડા દિવસો પછી વ્હાઇટ હાઉસ દ્વારા આ તમામ ટ્વિટર હેન્ડલ્સને અનફોલો કરી દેવામાં આવ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને લાઈવ હિંદુસ્તાન દ્વારા 30 એપ્રિલ, 2020 ના રોજ આજ બાબત અંગે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વ્હાઇટ હાઉસે ભારતીય ટ્વિટર હેન્ડલ્સને અનફોલો કરવા અંગે સ્પષ્ટતા આપી છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટતામાં કહ્યું છે કે, તેનું ટ્વિટર હેન્ડલ સામાન્ય રીતે અમેરિકી રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન અમુક ચોક્કસ સમયગાળા માટે જ યજમાન દેશોના અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટને ફોલો કરે છે. જેથી યાત્રાના સમર્થનમાં તેમના સંદેશાને રીટ્વિટ કરી શકાય. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, વ્હાઇટ હાઉસનું ટ્વિટર એકાઉન્ટ સામાન્ય રીતે અમેરિકી સરકારના વરિષ્ઠ અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટને ફોલો કરે છે.
હાલમાં, વ્હાઇટ હાઉસના ટ્વિટર એકાઉન્ટ દ્વારા યુએસ પ્રમુખ જો બિડેન, તેમની પત્ની જીલ બિડેન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, તેમના પતિ ડગ્લાસ એમહોફ, વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ ટીમ અને વ્હાઇટ હાઉસનું સ્પેનિશ એકાઉન્ટ ‘લા ક્લાસા બ્લેન્કા’ સહિત 6 એકાઉન્ટને ફોલો કરવામાં આવી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આજ તક દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020 માં કરવામાં આવેલી ટ્વિટનો છે. આ ટ્વિટને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો વ્હાઈટ હાઉસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનફોલો કર્યા હોવાની આજ તકની ટ્વિટના વાયરલ ફોટોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
