
તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા પંડિત જવાહરલાલ નહેરુનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જવાહરલાલ નહેરુએ કુંભમાં સ્નાન કર્યું હતું તે સમયનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા પંડિત જવાહરલાલ નહેરુનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ કુંભ મેળાનો નહીં પરંતુ જવાહરલાલ નહેરુ દ્વારા તેમની માતાના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા તે સમયનો છે. આ ફોટોને કુંભ મેળા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 15 જાન્યુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જે કુંભ મેળામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂજીએ સ્નાન કર્યું હતું તે જ કુંભમેળામાં તેમના પુત્રી દેશના લોંખડી મહિલા વડાપ્રધાન સ્વ.ઇંદિરાજી ૧૯૭૭ માં કુંભમેળામાં સ્નાન કર્યું હતું ત્યારની તસવીર. નહેરૂ કુટુંબ હીંદુ નથી તેવી ગેરસમજણ અને અફાવા ફેલાવવા વાળાઓએ આની નોંધ લેવી ધટે….. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જવાહરલાલ નહેરુએ કુંભમાં સ્નાન કર્યું હતું તે સમયનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો reckontalk.com વેબસીટ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, નહેરુનો આ ફોટો અલ્હાબાદ (હાલ પ્રયાગરાજ)માં તેમની માતાની અસ્થિ વિસર્જન કર્યા પછી લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
અમારી વધુ તપાસમાં અમને 6 માર્ચ, 2006ના રોજ ઈન્ડિયા ટુડે વેબસાઈટ પર
‘The Nehrus: Personal Histories’ નામના પુસ્તકનો સમીક્ષા અહેવાલ મળ્યો. આ પુસ્તક મુશિરુલ હસન અને પ્રિયા કપૂર દ્વારા લખવામાં આવ્યું છે. અમે જોયું કે, નહેરુનો એ જ વાયરલ ફોટો તેમાં શેર કરવામાં આવ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ તે સમયનો ફોટો છે જ્યારે નહેરુ અલ્હાબાદમાં તેમની માતાની અસ્થિઓના વિસર્જન માટે હાજર હતા.
આ માહિતી સાથે અમને X એકાઉન્ટ પર શેર કરાયેલ નહેરુનો આજ ફોટો મળ્યો હતો.
અમારી તપાસમાં જાણવા મળ્યું કે, જવાહરલાલ નહેરુની માતા સ્વરૂપરાણી નહેરુનું જાન્યુઆરી 1938માં અવસાન થયું હતું. તે વર્ષે કુંભ મેળો પ્રયાગરાજમાં નહીં પણ હરિદ્વારમાં યોજાયો હતો. જ્યારે પંડિત જવાહરલાલ નેહરુએ અલ્હાબાદ (પ્રયાગરાજ)માં માતાની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. 1938ના હરિદ્વાર મહાકુંભમાં બે દુર્ઘટના સર્જાઈ હતી. ગંગા કિનારે ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી અને મેળા પરિસરમાં કોલેરા ફેલાઈ ગયો હતો. બંને દુર્ઘટનામાં જાનમાલનું મોટું નુકસાન થયું હતું. જેને પરિણામે લોકો મેળા પરિસરમાંથી ભાગી ગયા હતા.
આવી સ્થિતિમાં, સ્પષ્ટ થાય છે કે, આ વાયરલ ફોટો 10 જાન્યુઆરી, 1938નો છે, જ્યારે નહેરુ તેમની માતાની અસ્થિઓનું વિસર્જન કરી રહ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા પંડિત જવાહરલાલ નહેરુનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ કુંભ મેળાનો નહીં પરંતુ જવાહરલાલ નહેરુ દ્વારા તેમની માતાના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા તે સમયનો છે. આ ફોટોને કુંભ મેળા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો પંડિત જવાહરલાલ નહેરુના કુંભમાં સ્નાન કરવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
