જાણો 500ની નોટ માર્ચ 2026 પછી માન્ય નહીં ગણાય એવા વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 500 રુપિયાની નોટને લગતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, માર્ચ 2026 પછી 500 રુપિયાની નોટો માન્ય ગણાશે નહીં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પ્રકારે કોઈ જ નિર્ણય RBI દ્વારા લેવામાં આવ્યો નથી અને વાયરલ મેસેજ તદ્દન ખોટો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 9 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *RBI એ બધી બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટો વિતરણ બંધ કરવા જણાવ્યું છે.*

31 માર્ચ 2026 સુધીમાં બધી બેંકોના ATM માંથી 500 રૂપિયાની નોટ સંપૂર્ણ બંધ કરવી…

આગળ જતા ATM ફક્ત 200/100/50/20/10 રૂપિયાની નોટોનુ ATM માંથી નીકળશે..

500 રૂપિયાની નોટ જમા કરાવવા બેન્કમાં કોઈ પડાપડી કરવી નહી,લાઈન નહી લગાવવી, બેન્કમાં 500 રૂપિયાની નોટ જેમ જેમ આવશે એમ જમા થઈ જશે….

*સરકાર અને RBI નો ઉદેશ્ય મોંઘવારી ફુગાવો કંટ્રોલ કરવા અને રાજકારણી,હવાલાકાંડ,બિલ્ડર લોબીના કાળા ધોળા રોકવા…સંપૂર્ણ UPI ડિજિટલથી ઉપયોગ થાય એ મુખ્ય હેતુ છે…*

આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, માર્ચ 2026 પછી 500 રુપિયાની નોટો માન્ય ગણાશે નહીં.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારની માહિતી સાથેના સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

અમારી વધુ તપાસમાં અમને RBI દ્વારા જારી કરાયેલી ઘણી બધી પ્રેસ રિલીઝ અને સૂચનાઓ મળી હતી, જેમાં 2000 રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરવા અને મોટાભાગની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી ખેંચી લેવા અંગે માહિતી આપવામાં આવી હતી.


19 મે, 2023 ના રોજ આરબીઆઈ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નવેમ્બર 2016માં જારી કરાયેલ ૨૦૦૦ રૂપિયાની નોટનું છાપકામ 2018-2019 માં જ બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ નોટો સંપૂર્ણપણે લીગલ ટેન્ડર રહેશે.

વધુમાં અમને 1 એપ્રિલ, 2025ના રોજ RBI દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ પણ મળી, જેમાં તેમણે કહ્યું હતું કે, 19 મે, 2023 સુધી, 2000 ની લગભગ 3.56 લાખ કરોડ રૂપિયાની બેંક નોટો ચલણમાં હતી, જે હવે 31 માર્ચ, 2025 સુધીમાં ઘટીને માત્ર 6366 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

વીટીવી ગુજરાતી દ્વારા પણ 3 જૂન, 2025ના રોજ પ્રકાશિત એક અહેવાલમાં આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

વધુમાં PIB Fact Check દ્વારા પણ 3 જૂન, 2025ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં આ મેસેજ કે માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.

પરિણામ

આમ, આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પ્રકારે કોઈ જ નિર્ણય RBIદ્વારા લેવામાં આવ્યો નથી અને વાયરલ મેસેજ તદ્દન ખોટો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો 500ની નોટ માર્ચ 2026 પછી માન્ય નહીં ગણાય એવા વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *