
Shortcut Rj Maru નામના ફેસબુક યુઝર દ્વારા 5 સપ્ટેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સુરત અમરોલી છાપરાભાઠા રોડ પંચ શીલા સોસાયટી 15 વષૅ ની છોકરી વરવરતા પૂવૅક બલતકાર કરીને 7 માડ થી ફેકી દીધેલ છૈ. તમામ ભાઇઓ ની નૅમ વિનંતી દરેક ગૃપ મા મોકલો જેનાથી સરકાર ની આખો ખોલવો Om shanti rip. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં દેખાતી છોકરી સાથે દુષ્કર્મ આચરી તેને સાતમા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી. આ પોસ્ટને 290 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 211 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 250 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોની નીચે કોમેન્ટમાં અમે ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ છોકરીએ આત્મહત્યા કરી છે તેથી સૌ-પ્રથમ અમે ગુગલનો સહારો લઈ सुरत अमरोली छापराभाठा आत्महत्या લખીને સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પત્રિકા દ્વારા 4 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે, સુરતના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં પંચશીલનગરમાં મૃતક યુવતી કિરણ અને તેનો પરિવાર રહેતો હતો. જ્યાં મંગળવારની રાત્રે કિરણનો તેની માતા સાથે કોઈ નજીવી બાબતે ઝઘડો થતાં તેની માતાએ તેને થપ્પડ મારી હતી. ત્યાર બાદ કિરણ ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી અને 4 સપ્ટેમ્બર, 2019ના રોજ સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ ઘટનાની જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. વધુ તપાસમાં પોલીસ દ્વારા આ ઘટનાને આત્મહત્યા જ બતાવવામાં આવી છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.


અમારી વધુ તપાસમાં ધ ટાઈમ્સ ઓફ ગુજરાત દ્વારા પણ આ ઘટનાને આત્મહત્યા ગણાવતા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમાં પણ યુવતી સાથે દુષ્કર્મ થયાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અન્ય બે મીડિયા માધ્યમ દ્વારા આ સમાચારને 5 સપ્ટેમ્બર, 2019 ના રોજ યુટ્યુબ પર પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ બંને સમાચારને ધ્યાનથી જોતાં ત્યાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ યુવતી સાથે દુષ્કર્મ થયાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. આ બંને સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ તમામ સંશોધનના અંતે અમે સુરત શહેરના અમરોલીના પીઆઈ ડી.એસ.કોરાટ સાથે આ સમગ્ર ઘટના અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ ઘટના એક આત્મહત્યા જ છે. યુવતીને તેની માતા દ્વારા રસોઈ બનાવવા બાબતે કોઈ ઠપકો આપતાં યુવતીએ ઉશ્કેરાઈ જઈને આ પગલું ભર્યું હતું. યુવતીનું ડોક્ટરો દ્વારા પેનલ પીએમ પણ કરવામાં આવ્યું છે. જેમાં તેના પર દુષ્કર્મ થયા હોવાનો એક પણ પુરાવો પ્રાપ્ત થયો નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.”

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ યુવતી પર દુષ્કર્મ થયા હોવાની માહિતી બિલકુલ ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ યુવતીએ આત્મહત્યા કરી છે. તેના પર દુષ્કર્મ થયું હોવાનું ક્યાંય સાબિત થતું નથી. જે પેનલ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે એવું અમને અમરોલીના પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર આ યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ સાતમા માળેથી નીચે ફેંકી દેવામાં આવી …? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
