તાજેતરમાં સોશિયલ મીડિયા પર લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદથી બંગાળ જતી ટ્રેનને જેહાદીઓ દ્વારા રોકીને તેને મુસ્લિમ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું . પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હૈદરાબાદથી કર્ણાટકની વાડીમાં હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 11 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હૈદરાબાદ થી બંગાળ જતી ટ્રેન ને જેહાદી દ્વારા રોકી દીધી અને મુસ્લિમ એક્સપ્રેસ નામ આપી દીધું. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદથી બંગાળ જતી ટ્રેનને જેહાદીઓ દ્વારા રોકીને તેને મુસ્લિમ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા ટ્રેનના વીડિયો જેવા જ કેટલાક વીડિયો વર્ષ 2017માં પોસ્ટ કરવામાં આવેલા જોવા મળ્યા હતા. જે હૈદરાબાદથી કર્ણાટકની વાડી સુધી હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે ગોઠવાયેલી ખાસ ટ્રેન છે. આ યુટ્યુબ વીડિયો ‘હલકત્તા શરીફ ચંદન અને નવી દરગાહ’ના શીર્ષક સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો.



આને ધ્યાનમાં રાખીને વધુ શોધમાં અમને જાણવા મળ્યું કે, ‘હલકત્તા શરીફ’ એ સૈયદ મોહમ્મદ બાદશાહ કાદરી-ઉલ-ચિશ્તી યેમેની રાયચુરીની દરગાહ છે, જેને બાદશાહ કાદરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે કર્ણાટકના ગુલબર્ગા જિલ્લાના વાડીમાં સ્થિત છે. બાદશાહ કાદરીએ શાંતિ અને વૈશ્વિક બંધુત્વનો ઉપદેશ આપ્યો હતો. લોકો દર વર્ષે બદેશા કાદરીની પુણ્યતિથિ અથવા ‘ઉર્સ’ માટે હલકત્તા શરીફની યાત્રા કરે છે.

આગળ, અમને 2 ઓગસ્ટ, 2023ના રોજ ગુલબર્ગા ટાઈમ્સ દ્વારા યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો, જેમાં કેપ્શન હતું ’46th ઉર્સએ કાદીર હલકત્તા શરીફ | ચંદન મુબારક’. આ વીડિયોમાં વાયરલ વીડિયોમાં દેખાતી ટ્રેન જેવી જ દેખાતી ટ્રેન દેખાઈ રહી છે.


પાછળથી અમને યુટ્યુબ પર 2 ઓગસ્ટ 2023ના રોજ ગોહાશ નામની ચેનલ દ્વારા “46 ઉર્સ-એ-કદીર હઝરત ખ્વાજા સૈયદ મોહમ્મદ બાદશાહ કાદરી ચિશ્તી યામાની કાદીર હલકત્તા શરીફ” શીર્ષક સાથે અપલોડ કરવામાં આવેલો બીજો વીડિયો મળ્યો. જો કે, ટ્રેન નંબર 13418, લીલો ગુંબજ, મોર અને પક્ષી સહિતની સજાવટ બંને વીડિયોમાં એકસરખી દેખાય છે.

નીચે તમે વાયરલ વીડિયો અને યુટ્યુબ પરની સ્પેશિયલ ટ્રેનના ફોટો વચ્ચેની સરખામણી જોઈ શકો છો.

દક્ષિણ મધ્ય રેલ્વે (SCR) એ હૈદરાબાદથી વાડી ખાતે હઝરત-એ-કદીરના ઉર્સ-એ-શરીફની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી હતી. આ ટ્રેનોને દર વર્ષે વિશેષ શણગાર કરવામાં આવે છે.

અમને 27 જુલાઈ, 2023 થી દક્ષિણ મધ્ય રેલવેની સત્તાવાર સૂચના મળી. વધારાના ધસારાને જાળવવા માટે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટના રોજ હૈદરાબાદથી વાડી સુધીના 46માં ઉર્સ-ઇ-શરીફની ઉજવણીમાં ભાગ લેનારા યાત્રાળુઓ માટે ચાર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહાન સંત હઝરત ખ્વાજા સૈયદ મોહમ્મદ બાદેશ કાદરી ચિસ્તી યામાની.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હૈદરાબાદથી કર્ણાટકની વાડીમાં હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો મુસ્લિમ એક્સપ્રેસના નામે વાયરલ થઈ રહેલા ટ્રેનના વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context