ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ કરવામાં આવી નથી. તેની શોધખોળ હજુ ચાલી જ રહી છે… જાણો શું છે સત્ય..
ગુડ્ડુ મુસ્લિમ ધરપકડ કરવામાં આવી નથી. તેનું અંતિમ લોકેશન કર્ણાટકા મળ્યુ હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતુ.
ઉમેશપાલની હત્યાના કેસના આરોપી અને પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતિક અહમેદ અને તેના ભાઈની પ્રયાગરાજમાં સરા જાહેર હત્યા કરવામાં આવી હતી. આ જ કેસમાં હજુ ચાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. આ હત્યાના કેસમાં મુખ્ય આરોપીની ભૂમિકા ભજવનાર ગુડ્ડુ મુસ્લિમ પણ છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુડ્ડુ મુસ્લિમની પોલીસ દ્વારા નાસીકથી ધરપકડ કરવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gajendrasinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુડ્ડુ મુસ્લિમની પોલીસ દ્વારા નાસીકથી ધરપકડ કરવામાં આવી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને નાસિકના લોકલ મીડિયા હાઉસનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર “નાસિક પોલીસ કમિશનરેટે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે ઉમેશ પાલ હત્યા કેસમાં ભાગેડુ શંકાસ્પદ અને કુખ્યાત ગેંગસ્ટર ગુડ્ડુ મુસ્લિમની નાશિકમાંથી ધરપકડ કરવામાં આવી છે.”
તેમજ આ અહેવાલમાં વધુ માહિતી આપવામાં આવી હતી કે, “આર્મ્સ એક્ટના ગુનાના સંદર્ભમાં દિલ્હી પોલીસ નાસિક આવી હતી અને આ કેસ અંગે શંકા ઊભી થઈ હતી. દિલ્હી પોલીસ ખરેખર હોટલના વેઈટરની પૂછપરછ કર્યા બાદ પરત ગઈ હતી. નાશિક પોલીસ કમિશ્નરેટે પણ સ્પષ્ટતા કરી હતી કે તેને ગુડ્ડુ મુસ્લિમ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગૂગલ પર સર્ચ કરતા અમને રિપબ્લિકવર્લ્ડ નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશ એસટીએફના એડીજી અમિતાભ યશે જણાવ્યું હતું કે ઉમેશ પાલ હત્યા કેસના આરોપી ગુડ્ડુ મુસ્લિમ પોલીસ દ્વારા ઘેરાયેલા હોવાના અહેવાલો તેમની પાસે બહુ વાસ્તવિકતા નથી. અગાઉના અહેવાલો સૂચવે છે કે ગુડ્ડુ મુસ્લિમને ઉત્તર પ્રદેશના જાલૌનમાં STF પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે યુપી એસટીએસના ચિફ અમિતાભ યશનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગુડ્ડુ મુસ્લિમની નાસિકથી ધરપકડ કરવામાં આવી હોવાની વાત ખોટી છે. પરંતુ થોડા સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.”
તેમજ ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યુ હતુ કે, ગુડ્ડુ મુસ્લિમનું અંતિમ લોકેશન કર્ણાટકામાં હોવાનું જાણવા મળ્યુ છે.
ગુડ્ડુ મુસ્લિમ કોણ છે.?
ગુડ્ડુ મુસ્લિમએ 10 લોકોમાંથી એક છે જેમનું નામ ઉમેશ પાલ હત્યાની FIRમાં છે. તેમાંથી છ માર્યા ગયા છે અને ગુડ્ડુ મુસ્લિમ ચાર લોકોમાંથી એક છે જેઓ ભાગી રહ્યા છે. એવું કહેવાય છે કે ગુડ્ડુ મુસ્લિમ લોકોને મારવા માટે બંદૂકનો ઉપયોગ કરવાને બદલે બોમ્બ ફેંકવાનું પસંદ કરે છે. ગેંગસ્ટર-રાજકારણીએ તેને જેલમાંથી બહાર કાઢ્યો ત્યારથી તે અતિક અહેમદ સાથે સંકળાયેલો છે.
અલ્હાબાદમાં જન્મેલા ગુડ્ડુ મુસ્લિમને લખનૌં મોકલવામાં આવ્યો હતો કારણ કે, તે ખૂબ જ નાની ઉંમરે ગુનાની દુનિયા સાથે જોડાયેલો હતો. જો કે, લખનૌમાં તે મોટા ગુનાઓમાં સંડોવાયેલો હતો. ગુડ્ડુની 1997માં લખનઉની લા માર્ટિનેર સ્કૂલના શિક્ષકની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પુરાવાના અભાવે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. અનેક ગુનાઓમાં સંડોવણીના કારણે ગુડ્ડુ ઉત્તર પ્રદેશથી ભાગી ગયો હતો કારણ કે તે પોલીસને પહેલેથી જ વોન્ટેડ હતો. તે બિહાર ભાગી ગયો હતો પરંતુ 2001માં તેની ધરપકડ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અતીક અહેમદે તેને જેલમાંથી બહાર કાઢ્યો અને તેઓ નજીક બની ગયા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગુડ્ડુ મુસ્લિમ ધરપકડ કરવામાં આવી નથી. તેનું અંતિમ લોકેશન કર્ણાટકા મળ્યુ હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ કરવામાં આવી નથી. તેની શોધખોળ હજુ ચાલી જ રહી છે... જાણો શું છે સત્ય..
Fact Check By: Frany KariaResult: False