શું ખરેખર રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ખાસ યોજનાઓ બહાર પાડવામાં આવી...? જાણો શું છે સત્ય....
રેલવેમાં વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં રાહતને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે આપવામાં આવેલી છૂટને પુનઃસ્થાપિત કરી છે. જેમાં “રેલવેમાં મુસાફરી કરતા 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષોને ભાડામાં 40 ટકા અને 58 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને ભાડામાં 50 ટકાની છૂટ મળશે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવેમાં મુસાફરી કરતા 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષોને ભાડામાં 40 ટકા અને 58 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને ભાડામાં 50 ટકાની છૂટ મળશે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા, પરંતુ વાયરલ દાવાને સમર્થન આપતો એક પણ અહેવાલ પ્રાપ્ત થયો ન હતો. જે વાયરલ દાવાની પૃષ્ટી કરે.
પરંતુ સર્ચ દરમિયાન અમને 4 ઓગસ્ટ 2024નો રોજ એબીપી લાઈવનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સરકારે રેલ ભાડામાં છૂટછાટ માટે વરિષ્ઠ નાગરિકોની માંગ પર સંસદમાં પ્રતિક્રિયા આપી છે. રેલ્વે મંત્રીને વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા ભાડામાં પ્રથમ ડિસ્કાઉન્ટ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જવાબ આપતા કહ્યું કે 2022-23માં ભારતીય રેલ્વેએ મુસાફરોને સસ્તી સુવિધાઓ આપવા માટે 57 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી છે. તેનો લાભ તમામ મુસાફરોને મળી રહ્યો છે. જો કે, રેલ્વે મંત્રીએ તેમના જવાબમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. તેઓ અગાઉ પણ એવી દલીલ કરી રહ્યા છે કે વરિષ્ઠ નાગરિકોને અલગથી છૂટ આપવાની કોઈ યોજના નથી.”
IRCTCની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી પ્રેસ નોટમાં લખવામાં આવ્યું છે કે વરિષ્ઠ નાગરિકોને ભાડામાં રાહતની સુવિધા 20 માર્ચ 2020થી પાછી ખેંચી લેવામાં આવી છે. આમાં વરિષ્ઠ નાગરિકોને પહેલા આપવામાં આવતી છૂટ વિશે લખવામાં આવ્યું છે. આ મુજબ, ભારતીય રેલ્વેમાં, મેલ/એક્સપ્રેસ/શતાબ્દી/જન શતાબ્દી/દુરન્તો ટ્રેનોની તમામ શ્રેણીઓમાં, 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ વરિષ્ઠ નાગરિકોને 40 ટકા અને 58 વર્ષ કે તેથી વધુ વયની મહિલા વરિષ્ઠ નાગરિકોને 50 ટકા ભાડાની છૂટ આપવામાં આવતી હતી. તેઓએ મુસાફરી દરમિયાન પોતાનું આઈડી પ્રૂફ બતાવવું પડતું હતું.
તેમજ વધુ સર્ચ કરતા અમને આજતકની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, રેલ્વેએ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી ભાડામાં છૂટ બંધ કરીને વધારાનો ફાયદો મેળવ્યો છે. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન રેલવેને આઠ કરોડ વરિષ્ઠ નાગરિકો પાસેથી રૂ. 5 હજાર કરોડથી વધુની આવક થઈ છે. તેમાંથી 2242 કરોડ રૂપિયા તેમને આપવામાં આવેલી છૂટમાંથી આવ્યા છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે રેલવે પીઆરઓ જંયતનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, આ મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારની કોઈ સુચના સરકાર દ્વારા આપવામાં આવી નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રેલ્વે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને રાહત અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. માર્ચ 2020માં વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં મળતી રાહત બંધ કરવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)