જાણો બેંગ્લોરમાં થયેલી મહાલક્ષ્મીની હત્યા મુસ્લિમ યુવકે કરી હોવાની વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડ પર ફ્રીજમાં રાખેલ લાશના ટુકડાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે બનેલા લવ જેહાદના કિસ્સામાં મહાલક્ષ્મી નામની યુવતીની હત્યા કરીને તેની લાશના ટુકડા કરીને એક મુસ્લિમ યુવકે ફ્રીજમાં મૂકી દીધી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફ્રીજમાં રાખેલ મહાલક્ષ્મીના લાશના ટુકડા એક મુસ્લિમ યુવકે કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે એ તદ્દન ખોટી છે તેની હત્યા મુક્તિ રંજન રોય નામના યુવકે કરી હતી ત્યાર બાદ એ યુવકે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Love jihad મહાલક્ષ્મી નામની ૨૯ વર્ષ ની હિન્દુ છોકરી બેંગલોર મો ૩૦ ટુકડા કરવા મો આવ્યા.... આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે બનેલા લવ જેહાદના કિસ્સામાં મહાલક્ષ્મી નામની યુવતીની હત્યા કરીને તેની લાશના ટુકડા કરીને એક મુસ્લિમ યુવકે ફ્રીજમાં મૂકી દીધી તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે આપવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતી સાથેના સમાચાર NDTV India દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 26 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં બેંગ્લોરના ડીસીપી શેખર .એચ. ટેકન્નાવને જણાવ્યું હતું કે, મહાલક્ષ્મીની હત્યાના મુખ્ય આરોપી મુક્તિ રાજીવ પ્રતાપ રોયે આત્મહત્યા કરી લીધી છે.
ઉપરોક્ત આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. The Lallantop | Crime Tak
વધુ તપાસમાં અમને એક પત્રકાર દ્વારા તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ 26 સપ્ટેમ્બર, 2024 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મહાલક્ષ્મીની હત્યા કરીને તેના ટુકડા ફ્રીજમાં રાખનાર અશરફ નહીં પરંતુ મુક્તિ રંજન રોય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફ્રીજમાં રાખેલ મહાલક્ષ્મીના લાશના ટુકડા એક મુસ્લિમ યુવકે કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે એ તદ્દન ખોટી છે તેની હત્યા મુક્તિ રંજન રોય નામના યુવકે કરી હતી ત્યાર બાદ એ યુવકે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)