Fake News: જૈન સાધુની દિક્ષા લીધેલા માતા-પુત્રના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય....
હાલમાં એક માતા-પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ માતા-પુત્રની બે તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાં એક તસ્વીર દિક્ષા લીધા પહેલાની અને એક તસ્વીર દિક્ષા લીધા બાદની વાયરલ થઈ રહી છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જૈન સાધુની દિક્ષા લીધેલા આ માતા-પુત્ર સુરતના રહેવાસી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૈન સાધુની દિક્ષા લીધેલા આ માતા-પુત્ર સુરતના રહેવાસી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને DNA INDIA નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેની ભક્તિ અને પ્રતિબદ્ધતાના અદ્ભુત પ્રદર્શનમાં, કર્ણાટકના બેંગ્લુરૂના એક પરિવારે જૈન સમુદાયમાં સાધુત્વ અપનાવીને હેડલાઇન્સ બનાવી છે. સ્વીટી, ઉદ્યોગપતિ મનીષની 30 વર્ષીય પત્ની, તેમના 11 વર્ષના પુત્ર હૃધન સાથે, તાજેતરમાં જ દિક્ષાના પવિત્ર સમારોહમાંથી પસાર થયા, જે તેમના જીવનના તપસ્વી માર્ગમાં ઔપચારિક પ્રવેશને ચિહ્નિત કરે છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને MY WORLD JAINISM નામની યુટ્યુબ ચેનલ પર આ માતા-પુત્રની દિક્ષાનો વીડિયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા આ દિક્ષાની તમામ વીધિનું રેકોર્ડિંગ કરનાર પ્રિત શાહ ફોટોગ્રાફી દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને આ માતા-પુત્રનું બેંગ્લૂરૂ સ્થિત ઘર તેમજ દેરાસર તમામ સ્થળ પણ બતાવવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દિક્ષાર્થી માતા-પુત્ર સુરતના નહીં પરંતુ બેંગ્લૂરૂ કર્ણાટકના રહેવાસી છે. સુરતના હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)