
Raj Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 4 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોઈલર મુરઘી મા કોરોના વાયરસ જોવા મા આવ્યો છે, તમામ લોકો ને અપીલ કરવામાં આવે છે, કે બોઈલર નુ મટન નો ખાવા મા ઉપયોગ કરશો નહી….. મુસ્લિમ કોમ્યુનિટી, મુંબઈ. ખાર…. દુવા ની અપીલ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બોઈલર મરઘીમાં કોરોના વાયરસ મળી આવ્યો. આ પોસ્ટને 16 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર બોઈલર ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજ તેમજ ખરેખર કોરોના વાયરસ મરઘીઓમાં હોય છે કે કેમ? એ સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા આ ફોટા જૂના અને તેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
is.pastureone.com નામની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ વેબસાઈટ પર મરઘીઓમાં થતા વિવિધ રોગ અને તેના ઉપચાર અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં મરઘીમાં જોવા મળતા એસ્પરગિલોસીસ નામના ફંગલ રોગથી પિડાતી મરઘીનો ફોટો આપવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અકોલા કૃષિ વિજ્ઞાનમાં નિષ્ણાત ગોપાલ મંજૂલકરનો સંપર્ક કર્યો હતો. તેઓએ અમને જણાવ્યું હતું કે, “બોઈલર મરઘીઓમાં કોરોના વાયરસ ફેલાયો હોવાની માહિતી એક અફવા માત્ર છે. એ વાતની હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ કે ભારતામાં હજુ મરઘીઓ કે કોઈ અન્ય જાનવરોમાં કોરોના વાયરસ મળી આવ્યો છે કે નહીં. એસ્પરગિલોસીસ એ એક ફંગલ રોગ છે. જો ફીડ લાંબા સમય સુધી ભીની હોય અથવા વાતાવરણમાં ભેજ વધે, તો ખોરાક ભેજયુક્ત થાય છે. જેમાં ફંગલ પેદા થાય છે. આ ખોરાક ખાવાથી પશુઓમાં ઝેર પેદા થાય છે અને આ રોગ થવાની સંભાવના રહે છે.”
અમારી વધુ તપાસમાં અમે મહારાષ્ટ્ર પશુ અને મત્સ્યઉદ્યોગ યુનિવર્સિટી અંતર્ગત મુંબઇ વેટરનરી કોલેજમાં મરઘાં વિભાગના તત્કાલીન સહાયક પ્રોફેસર ડો. દીપશ્રી દેસાઇનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ એજ કહ્યું હતું કે બોઈલર મરઘીઓમાં કોરોના વાયરસ મળી આવ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે. જે સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાયરલ થઈ રહી છે.
વધુમાં ડૉ. દેસાઈ જણાવ્યું હતું કે, “હજી સુધી કોઈ પુરાવા નથી કે બ્રોઇલર ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલો સંદેશ ખોટો છે. સરકાર અને આ વિષયના નિષ્ણાતો દ્વારા તમને કોરોના વાયરસ વિશેની સત્તાવાર માહિતી આપવામાં આવશે. જેથી નાગરિકોએ વાયરલ સંદેશ પર વિશ્વાસ ન કરવો જોઇએ. ચિકન અથવા ઇંડા ખાવામાં કંઈ ખોટું નથી.”
મુંબઈ વેટરનરી કોલેજના સહયોગી સ્થાપક એ. એસ. રાનાડેએ પણ બ્રોઇલર ચિકનમાં કોરોના વાયરસની અફવાઓને નકારી કાઢી છે. એગ્રોવન સમાચારમાં રાનડે એવું કહે છે કે, બ્રોઈલર મરઘીઓમાં થયેલા રોગોના વિકૃત ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ ફોટો રાનીખેત ખાતે મરઘીઓમાં થયેલા રોગના છે. જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. જે તમે નીચે જોઈ શકો છો.

ભારતમાં ચિકન અને મટનને બાફીને રાંધવામાં આવે છે, તેથી ખાવાની આ પદ્ધતિ સૌથી સલામત છે. આવું રાનાડેનું માનવું છે. વાયરસ સામાન્ય રીતે ગરમ તાપમાનમાં રહેતા નથી. વધુમાં ડો. દેસાઈએ કહ્યું કે, જ્યારે આપણે માંસાહારી ખોરાક રાંધીએ છીએ, ત્યારે આપણે મસાલાનો ઉપયોગ કરીએ છીએ જેમાં આદુ, લસણ, હળદર જેવા ઔષધીય ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી વાયરસ ફેલાવાનું જોખમ પણ ઓછું રહે છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતમાં હજુ ચિકનમાં કોરોના વાયરસ ફેલાયો હોવાની માહિતી ખોટી છે. નિષ્ણાતોના મત મુજબ બ્રોઈલર મરઘીમાં કોરોના વાયરસ હોવાની માહિતી પણ ખોટી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો મરઘીઓમાં થતા જુદા જુદા રોગના છે. આ ફોટો જૂના છે. જેના પર લોકોએ વિશ્વાસ કરવો જોઈએ નહીં.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હજુ સુધી ભારતમાં મરઘીના ચિકનમાં કોરોના વાયરસ ફેલાયો હોવાની માહિતી ખોટી છે. તેમજ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો જૂના તેમજ મરઘીઓમાં થતા જુદા જુદા રોગના છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર બ્રોઈલર ચિકનમાં મળી આવ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
