
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસને લઈ સમગ્ર દેશમાં ચર્ચા છે. ત્યારબાદ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીની દિર્ઘ આયુને લઈ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલા અને પુરૂષ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં પાછળ કમલનું નિશાન અને ભાજપા પ્રમુખ જે.પી.નડ્ડા અને પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બંને પુરૂષ અને સ્ત્રી દ્વારા સવારે પૂજા કરવામાં આવી હતી જ્યારે બાદમાં સાંજે આ પ્રકારે ડાન્સ કરવામાં આવ્યો હતો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 2 જાન્યુઆરીનો છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબની ઘટના 5 જાન્યુઆરીના બનવા પામી હતી. પ્રધાનમંત્રીની પંજાબની ઘટના સાથે વિડિયોને કોઈ લેવા-દેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vijaysinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બંને પુરૂષ અને સ્ત્રી દ્વારા સવારે પૂજા કરવામાં આવી હતી જ્યારે બાદમાં સાંજે આ પ્રકારે ડાન્સ કરવામાં આવ્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ભાસ્કર.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.
આ અહેવાલ 2 જાન્યઆરી 2022ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ને માહિતી આપવામાં આવી હતી કે, “વિડિયોમાં ભાજપના નેતાઓ અને મહિલા કાર્યકરો તેલુગુ સુપરસ્ટાર એનટીઆર અને જયમાલિનીની ફિલ્મના ગીત “અરેસુકોબોઇ પારેસુકુન્નાનુ” પર નાચતા જોવા મળે છે. ડાન્સ દરમિયાન સ્ટેજની નજીક હાજર અન્ય નેતાઓ અને કાર્યકરો તાળીઓ પાડીને ઉત્સાહિત છે. આ ઘટનાનો વિડિયો વાઈરલ થયા બાદ મામલો ભાજપની નેતાગીરી સુધી પણ પહોંચ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઉજવણી કરનારાઓ સામે કોઈ પગલાં લેવાયા છે કે લેવાશે.”

અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ આ વિડિયોના સમાચારને પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યુ હતુ કે આ ઘટના 2 જાન્યુઆરી ની છે.
પ્રધાનમંત્રીની પંજાબની ઘટના ક્યારે બની હતી.?
તેમજ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાનની ઘટના અંગે જાણવા પ્રયત્ન કર્યો તો અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના 5 જાન્યુઆરી 2022ના બનવા પામી હતી. જે ઘટનાને પણ તમામ મિડિયા હાઉસ (આજતક, એબીપી, અમરઉજાલા, નવભારત ટાઈમ્સ) દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.
આમ ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ છે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોની ઘટના પ્રધાનમંત્રીની મોદીના પંજાબ પ્રવાસ પહેલાની ઘટના છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 2 જાન્યુઆરીનો છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબની ઘટના 5 જાન્યુઆરીના બનવા પામી હતી. પ્રધાનમંત્રીની પંજાબની ઘટના સાથે વિડિયોને કોઈ લેવા-દેવા નથી.
