આ ફોટો હાલમાં થયેલા ટ્રેન અકસ્માતનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2009માં થયેલા ટ્રેન અકસ્માતનો છે.

ઓડિશામાં ગત શુક્રવારે ત્રણ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માતના કારણે 288 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ઓડિશામાં થયેલા ત્રણ ટ્રેન વચ્ચેના અકસ્માતનો આ ફોટો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ઓડિશામાં થયેલા ત્રણ ટ્રેન વચ્ચેના અકસ્માતનો આ ફોટો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 14 ફેબ્રુઆરી 2009ના ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ઓરિસ્સાના જાજપુર જિલ્લામાં હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. રેલ્વે રાજ્ય મંત્રી આર વેણુ જેમણે અહીં નજીકના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી, તેમણે જણાવ્યું હતું કે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ રેલ્વે સુરક્ષા કમિશનર દ્વારા હાથ ધરવામાં આવશે અને સાત દિવસમાં અહેવાલ સુપરત કરવામાં આવશે.”

વર્ષ 2009માં શું ઘટના બનવા પામી હતી.?
તારીખ 12 ફેબ્રુઆરી 2009ના શુક્રવારે સાંજે ઓરિસ્સામાં એક સુપરફાસ્ટ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઘાયલ થયેલા લગભગ 150 લોકો શનિવારે હોસ્પિટલમાં હતા, જ્યારે અધિકારીઓએ મૃતકોની સંખ્યા સુધારીને નવ કરી હતી. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી લગભગ 120 કિમી દૂર જાજપુર-કિયોંઝર રોડ રેલવે સ્ટેશન પાસે હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા સાંજે લગભગ 7.30 વાગ્યે પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટના પછી તરત જ, અહીં પોલીસ અને રેલ્વે અધિકારીઓ તેમજ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદે મૃત્યુઆંક 15 પર મૂક્યો હતો પરંતુ હવે તે નવ પર છે.

ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ | સંગ્રહ
તેમજ વધુ સર્ચ કરતા અમને ગેટ્ટી ઈમેજ પર પણ વર્ષ 2009ના આ ટ્રેન અકસ્માતના અન્ય ફોટો પ્રાપ્ત થયા હતા. જે વાયરલ ફોટોને મળતા આવતા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં થયેલા ટ્રેન અકસ્માતનો નહીં પરંતુ વર્ષ 2009માં ભુવનેશ્વર નજીક થયેલા ટ્રેન અકસ્માતનો ફોટો છે. હાલના ટ્રેન અકસ્માત સાથે તેને કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વર્ષ 2009ના ટ્રેન અકસ્માતના ફોટોને હાલના ટ્રેન અકસ્માતના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
