
જે.કે. પાટીદાર નામના એક ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुंडो से यही उम्मीद है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથે એવું નિવેદન આપ્યું છે કે, જો અમારી સરકાર પડી જશે તો સમગ્ર દેશમાં આગ લગાવી દઈશ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 133 લોકોએ લાઈક કરી હતી, 21 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 142 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive | Photo Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લીધો તો અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ માહિતી પ્રાપ્ત ન થતાં અમે અમારી તપાસ આગળ વધારી હતી. ત્યાર બાદ જો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જો આવું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક ચર્ચાનો વિષય બન્યો હોત અને રાજકારણ પણ ગરમાયું હોત તેમજ ક્યાંક ને ક્યાંક તો મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યું જ હોય એ જાણવા માટે અમે ગુગલમાં अगर हमारी सरकार गिरी तो पुरे देश में आग लगा दूंगा – योगी आदित्यनाथ સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ યોગી આદિત્યનાથે આવું નિવેદન આપ્યું હોય એવું જાણવા મળ્યું ન હતું. ત્યાર બાદ પોસ્ટમાં દર્શાવવામાં આવેલા મંતવ્ય ન્યૂઝના લોગોને જોતાં અમે આ સમાચારને ગુજરાતીમાં શોધવાની કોશિશ કરી તો અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને પોસ્ટના દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે યુટ્યુબનો સહારો લીધો અને અમારી તપાસ આગળ વધારતાં अगर हमारी सरकार गिरी तो पुरे देश में आग लगा दूंगा – योगी आदित्यनाथ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની માહિતીનો વીડિયો યુટ્યુબ પર જોવા મળ્યો ન હતો. ત્યાર બાદ અમે યોગી આદિત્યનાથના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર પણ તપાસ કરી હતી તો ત્યાં પણ આ પ્રકારે કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
Yogi Adityanath Facebook | Yogi Adutyanath Twitter
ઉપરના તમામ સંશોધન બાદ અમે મંતવ્ય ન્યૂઝ ગુજરાતી ચેનલની વેબસાઈટની મુલાકાત લીધી હતી તો ત્યાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. મંતવ્ય ન્યૂઝ એ ગુજરાતી ચેનલ છે અને એ ગુજરાતીમાં જ સમાચાર પ્રસારિત કરે છે જ્યારે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતી હિન્દી ભાષામાં છે.

આ સંપૂર્ણ સંશોધન બાદ અમે મંતવ્ય ન્યૂઝ ચેનલના હેડ દિપક રાજાણી જોડે આ અંગે વાત કરી તો તેઓએ અમને એવું જણાવ્યું હતું કે, અમારી ચેનલ દ્વારા આ પ્રકારે કોઈ જ માહિતી પ્રસારિત કરવામાં આવી નથી. ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટીંગ કરવામાં આવ્યું છે. અમારી ચેનલનો ખોટી માહિતી માટે દૂરુપયોગ અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે જે વ્યક્તિ દ્વારા આ પ્રકારે ખોટી માહિતી મૂકવામાં આવી છે તેના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવા વિચારી રહ્યા છીએ.

પરિણામ
આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, મંતવ્ય ન્યૂઝ દ્વારા ક્યારેય આ પ્રકારના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
