
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા થઈ રહેલા લાઠીચાર્જનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 19 ઓક્ટોમ્બર, 2021 ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ વખતે એક જુલુસ નીકાળવામાં આવ્યું હતું જેનો રુટ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ એ રુટનું ઉલ્લંઘન કરતાં પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dwarkesh Pandey નામના ફેસબુક યુઝર દ્વારા 14 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હજી રસ્તા પર નમાજ પઢો ***. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને આ વીડિયોમાં एस दीन टेलर्स નામની એક દુકાન જોવા મળી હતી. આ લખાણને અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ નામની દુકાન સુજી મહોલ્લા, ગોહલપુર (જબલપુર) મધ્યપ્રદેશ ખાતે આવેલી છે.

ત્યાર બાદ અમે આ દુકાનના માલિક ઈરફાન સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો મારી જ દુકાનની આગળની ગલીનો છે પણ એ દિવસે મારી દુકાન બંધ હતી કારણ કે, આ વીડિયો 19 ઓક્ટોમ્બરના રોજ ઈદ એ મિલાદના દિવસે મુસ્લિમ સમુદાય દ્વારા એક જુલુસ નીકાળવામાં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા તેના રુટના ઉલ્લંઘન બદલ લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.”
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ મધ્યપ્રદેશના જબલપુરનો છે.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતી અન્ય એક દુકાનના બોર્ડ સાથેનો વીડિયો MP Tak અને દિવ્યભાસ્કર દ્વારા 22 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો.
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી દુકાન અને સામાચારના વીડિયોમાં દેખાતી એજ દુકાનને જોઈ શકો છો.

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આજ વિસ્તારમાં આવેલી એક બીજી દુકાન કે જેનું નામ ગુપ્તાજી સ્ટુડિયો છે તેના માલિક સુમીર ગુપ્તાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો તેમની જ દુકાનની આગળની ગલીમાં ઈદના દિવસે નીકળેલા જુલુસનો છે. એ દિવસો પોલીસ અને ટોળા વચ્ચે સંઘર્ષ થતાં પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.”
અમારી વધુ તપાસમાં અમને ઈદના દિવસે મધ્યપ્રદેશના જબલપુર ખાતે નીકળેલા જુલુસ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV | Quint Hindi
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા થઈ રહેલા લાઠીચાર્જનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 19 ઓક્ટોમ્બર, 2021 ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ વખતે એક જુલુસ નીકાળવામાં આવ્યું હતું જેનો રુટ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ એ રુટનું ઉલ્લંઘન કરતાં પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશમાં જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
